
વિજાપુર તાલુકા તલાટી કમ મંત્રીઓ દ્વારા મહેસૂલી સહિત વધારાની કામગીરીનો બહિષ્કાર મામલતદાર અને ટીડીઓ ને આવેદનપત્ર આપ્યુ

વિજાપ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્ય સરકાર દ્વારા તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીના જુદા જોબ ચાર્ટ અંગે લાંબા સમયથી કોઈ નિર્ણય લેવામાં ન આવતા વિજાપુર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ હતું. અને મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય વિભાગોની કામગીરી નહીં કરવાની જાહેરાત કરી હતી તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વર્ષોથી તલાટી કમ મંત્રીઓ પર વિવિધ વિભાગોની વધારાની કામગીરીનો બોજો વધતો ગયો છે. સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામ સેવક જેવી અલગ-અલગ કેડર કાર્યરત હોવા છતાં કામગીરીનું યોગ્ય વિભાજન કરવામાં આવ્યું નથી. પરિણામે તલાટી કમ મંત્રીઓએ પંચાયતની કામગીરી ઉપરાંત મહેસૂલ અને ખેતીવાડી સહિત અનેક વિભાગોની જવાબદારી સંભાળવી પડી રહી હોવાનું મંડળે જણાવ્યું છે.
મંડળના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં થયેલી રાજ્યવ્યાપી હડતાળ દરમિયાન સરકાર દ્વારા તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીના જોબ ચાર્ટ અલગ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ બે વખત સમિતિઓની રચના પણ કરવામાં આવી, પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. તાજેતરમાં મહેસૂલી તલાટીઓની ભરતી પૂર્ણ કરીને નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવા છતાં કામગીરીનું વિભાજન ન થતાં તલાટી કમ મંત્રીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે આદેશ જાહેર કરીને જણાવ્યું છે કે તા. 03 જુલાઈ 2026થી ગામ નમૂના નં. 1 થી 18 સહિતની તમામ મહેસૂલી કામગીરી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય વિભાગોની કામગીરી હાથ ધરવામાં આવશે નહીં. મંડળ દ્વારા આગામી કોઈ નવો આદેશ ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓને આ નિર્ણયનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવતા સૂચના નો પાલન કરી વિજાપુર તાલુકા તલાટી કમ મંત્રી પણ આંદોલન માં જોડાયું હતુ
તાલુકા તલાટી કમ મંત્રી મંડળના આ નિર્ણયથી મહેસૂલ સંબંધિત સેવાઓ અને અન્ય સરકારી કામગીરીઓ પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો આ મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.



