સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ આવશ્યક સુવિધાઓ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકા ઓ ને બમણી રકમ ફાળવણી કરી લોકોના જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ કેશોદ નગરપાલિકા ને વિકાસકામો માટે પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે.ગુજરાતની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે ૨૦૧૦થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી છે. આ બહુહેતુક યોજનામાંથી નગરો-મહાનગરોમાં ટ્રાફિક ભારણ સરળ કરવા, અર્બન મોબિલિટી માટે, તેમજ નગરની આગવી ઓળખ ઊભી કરતાં કામો સાથે રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ, જેવા સામાજિક અને ભૌતિક આંતર-માળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોલેજ રોડ પર અજાબ તરફ જવાના માર્ગમાં જર્જરિત હાલતમાં પુલ હોય આકસ્મિક ઘટના બનવાની સંભાવના હોવાથી પ્રાથમિકતા આપી ચાર ગાળાના પુલનું કામ મંજૂર કરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આજરોજ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા ભાજપના અગ્રણી રામભાઈ કેશવાલા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહુર્ત કરી રૂપિયા એક કરોડ પચાસ લાખ ના અંદાજીત ખર્ચ સાથે પુલનું કામ શરૂ કરાવ્યું હતું. કેશોદ નગરપાલિકા ના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી મ્યુનિસિપલ એન્જીનીયર નારેજાભાઈ સહિત નગરસેવકો કર્મચારીઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદ થી અજાબ મેંદરડા તરફ જવાના રસ્તે જોખમી પુલ બની જતાં આવનારા દિવસોમાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉકેલાઈ જશે અને વાહનચાલકોને સુવિધા ઉપલબ્ધ થશે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી માટે કરવામાં આવતાં વિકાસલક્ષી કામોમાં વધુ એક કામનો ઉમેરો થયો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ