MORBI મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી સુરક્ષિત અને પારિવારિક માહોલમાં ક્રિષ્ના લોકમેળો શરૂ : પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક




MORBI મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી સુરક્ષિત અને પારિવારિક માહોલમાં ક્રિષ્ના લોકમેળો શરૂ : પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક

કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, બાયપાસ રોડ પર ભવ્ય આયોજન : અવનવી રાઇડ્સ, ફજેત-ફાળકા, રમકડાં અને ખાણી-પીણીના સ્ટોલ સાથે પારિવારિક મનોરંજન; સુરક્ષા માટે CCTV, સિક્યુરિટી ગાર્ડ, સ્વયંસેવકો, વીમા કવચ અને વિશાળ પાર્કિંગ સહિતની વ્યવસ્થા
મોરબી : મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો પરિવાર સાથે સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય વાતાવરણમાં લોકમેળાનો આનંદ માણી શકે તેવા હેતુથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘ક્રિષ્ના લોકમેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, બાયપાસ રોડ, મોરબી ખાતેના વિશાળ મેદાનમાં આજ તા. 2 સપ્ટેમ્બરથી તા. 24 સપ્ટેમ્બર સુધી આ લોકમેળો યોજાશે. ખાસ વાત એ છે કે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર પણ કોઈ આર્થિક ભાર વગર મેળાની મુલાકાત લઈ શકે તે માટે મેળામાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
17 વર્ષથી લોકમેળાની પરંપરા – યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા 17 વર્ષથી મોરબીમાં ‘ક્રિષ્ના લોકમેળા’નું આયોજન કરે છે. વર્ષોથી મોરબીની જનતાના મળતા પ્રેમ, વિશ્વાસ અને સહયોગના કારણે આ મેળો મોરબીવાસીઓ માટે મનોરંજન સાથે પારિવારિક મેળાપનું એક આગવું માધ્યમ બન્યો છે. આ વર્ષે પણ બાળકો, બહેનો, યુવાનો અને વડીલો સહિત દરેક વયજૂથના લોકો પરિવાર સાથે આવી શકે અને સલામત વાતાવરણમાં સમય વિતાવી શકે તે દિશામાં વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

બાળકો અને યુવાનો માટે અવનવી રાઇડ્સનું આકર્ષણ – ‘ક્રિષ્ના લોકમેળા’માં બાળકો અને યુવાનો માટે વિવિધ અવનવી તથા આકર્ષક રાઇડ્સ રાખવામાં આવી છે. આ ઉપરાંત મેળામાં ફજેત-ફાળકા, રમકડાં તેમજ વિવિધ મનોરંજનના સાધનો ઉપલબ્ધ રહેશે. પરિવાર સાથે આવતા લોકો માટે સમય પસાર કરી શકાય તેવી અનેકવિધ વ્યવસ્થાઓ મેળાના મેદાનમાં ઉભી કરવામાં આવી છે.
ખાણી-પીણીના વિવિધ સ્ટોલ – મેળામાં વિવિધ પ્રકારના ખાણી-પીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. મુલાકાતીઓને ખાણી-પીણીની વસ્તુઓ, રમકડાં તથા અન્ય વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે બાબતે આયોજનકર્તાઓ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી પરિવાર સાથે આવતા લોકોને મનોરંજન ઉપરાંત ખરીદી અને ખાણી-પીણીની પણ સુવિધા એક જ સ્થળે મળી રહે.
પ્રવેશ સંપૂર્ણ ફ્રી : સામાન્ય પરિવારને ધ્યાનમાં રાખી આયોજન – મેળામાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવશે નહીં. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારના તમામ સભ્યો સાથે આવી શકે અને પ્રવેશના ખર્ચની ચિંતા કર્યા વિના મેળાનો આનંદ માણી શકે તે આ આયોજનનો મહત્વનો ઉદ્દેશ છે.
સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય : CCTV અને સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા – મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજનકર્તાઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર મેળા પરિસરમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ તથા યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયંસેવકોની ટીમ પણ સતત દેખરેખ રાખશે. ખાસ કરીને બાળકો, બહેનો અને પરિવાર સાથે આવતા મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તથા મેળાનું વાતાવરણ વ્યવસ્થિત અને સુરક્ષિત રહે તે માટે સુરક્ષા વ્યવસ્થાને મહત્વ આપવામાં આવ્યું છે.
મેળાને વીમાનું સુરક્ષા કવચ – લોકમેળામાં આવતા મુલાકાતીઓ અને સમગ્ર આયોજનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળાને વીમા કવચ પણ આપવામાં આવ્યું છે. મનોરંજનની સાથે સલામતીના પાસાને પણ મહત્વ આપવામાં આવે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
વાહનો માટે વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગ – મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે આવનાર હોવાથી પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મુલાકાતીઓ પોતાના વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક કરી સરળતાથી મેળા પરિસરમાં પ્રવેશ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
મુલાકાતીઓ માટે ફ્રી Wi-Fi ઝોન મેળામાં આવતા લોકોની સુવિધામાં વધુ એક વ્યવસ્થા તરીકે ફ્રી Wi-Fi ઝોન પણ રાખવામાં આવ્યો છે. આમ, મનોરંજનની સાથે મુલાકાતીઓને જરૂરી ડિજિટલ સુવિધા પણ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
મનોરંજન સાથે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને સ્થાન – ‘ક્રિષ્ના લોકમેળા’માં માત્ર મનોરંજન પૂરતું આયોજન ન રાખતા ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પરથી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ખાસ કરીને ફિલ્મી ગીતોની જગ્યાએ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી સભર ગીતોને પ્રાધાન્ય આપવામાં આવશે. નવી પેઢી મનોરંજનની સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જોડાય તેવો પ્રયાસ આ આયોજનના માધ્યમથી કરવામાં આવશે.
સ્વચ્છતા અને તંત્રના નિયમોનું પાલન – મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતે પણ આયોજનકર્તાઓ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવશે. મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે, કચરાનો યોગ્ય નિકાલ થાય અને મુલાકાતીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત મેળાના આયોજન દરમિયાન સંબંધિત સરકારી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય જરૂરી નિયમોનું પાલન કરવામાં આવશે. જાહેર જનતાની સુવિધા તેમજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ બાબતોનું પાલન થાય તે માટે આયોજનકર્તાઓ દ્વારા તકેદારી રાખવામાં આવશે.
નફાનો જરાય ઉદ્દેશ નહિ માત્ર લોકોને સુરક્ષિત અને પારિવારિક મનોરંજન સાથે મેળાનો આંનદ આપવાનો આશય
યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “ક્રિષ્ના લોકમેળાના આયોજન પાછળ કોઈ નફાકીય હેતુ નથી. સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર પણ પોતાના બાળકો સાથે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી ચૂકવ્યા વિના મેળામાં આવી શકે અને આનંદ માણી શકે એ અમારી મુખ્ય ભાવના છે. નફો નહીં, પરંતુ નિર્દોષ મનોરંજન, સુરક્ષા, સંસ્કૃતિ અને સામાજિક સૌહાર્દને કેન્દ્રમાં રાખીને આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ લોકમેળો માત્ર યંગ ઇન્ડિયા ગ્રુપનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર મોરબીની જનતાનો પોતાનો લોકમેળો છે. બાળકો, યુવાનો, બહેનો, વડીલો અને સમગ્ર પરિવાર હળીમળીને નિર્ભયતાથી આનંદ માણી શકે તેવું સુરક્ષિત, સ્વચ્છ અને પારિવારિક વાતાવરણ ઊભું કરવાનો અમારો પ્રયાસ છે.”
2થી 24 સપ્ટેમ્બર સુધી મોરબીવાસીઓને પરિવાર સાથે આવવા આમંત્રણ
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકોને તા. 2 સપ્ટેમ્બરથી તા. 24 સપ્ટેમ્બર સુધી યોજાનારા ‘ક્રિષ્ના લોકમેળામાં પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, બાયપાસ રોડ, મોરબી ખાતે યોજાનારા આ પારિવારિક લોકમેળામાં પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક હોવાથી મોરબીવાસીઓ પરિવાર સાથે પધારી રાઇડ્સ, ફજેત-ફાળકા, મનોરંજન, ખાણી-પીણી અને વિવિધ કાર્યક્રમોનો આનંદ માણી શકે તેવી અપીલ કરવામાં આવી છે. રીપોટર મોહસીન શેખ દ્દ દ્વારા


