વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.૨૪ એપ્રિલ : કચ્છના પ્રાથમિક શિક્ષણ જગતના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ ગઈ જેમાં બદલી પામેલ શિક્ષકોને નિયમમાનુસાર છુટ્ટા કરવા સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યાના સમાચાર છે. કચ્છના શિક્ષણ જગતના મહેકમ અંગે જાણકારો દ્વારા પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું હતું કે કચ્છના શિક્ષણ પ્રત્યે ચિંતા સેવતા શિક્ષણવિદોના સતત પ્રયત્નોથી કચ્છમાં કચ્છી શિક્ષકોની જ ભરતી કરવામાં આવે એવી ખાસ મંજૂરી શિક્ષણમંત્રીઓ ઋષિકેશભાઇ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરિયાની મધ્યસ્થી દ્વારા લોકલક્ષી નિર્ણયો માટે સતત કાર્યશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ કિસ્સામાં 4100 જેટલા કચ્છી શિક્ષકોને ભરતી કરવાની મંજૂરી આપેલ છે જેનો આપણા કચ્છના સાંસદસભ્ય સહીત ધારાસભ્યોએ પણ યશમાં ભાગીદારી નોંધાવી છે. ત્યારે ચોંકાવનારી માહિતી આપતા શિક્ષણ જગતના અગ્રણીઓએ જ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ખાસ કિસ્સા તરીકે મંજુર થયેલી નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5 માં 2500 શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકો મળીને કુલ 4100 શિક્ષકો સ્થાનિક કક્ષાના જ ઉમેદવાર ભરવાની મંજૂરી મળેલી છે પરંતુ નવાઈની વાત તો એ છે કે નિમ્ન પ્રાથમિકમાં પીટીસી પાસ ઉમેદવારોમાંથી ટેટ 1ની પરીક્ષા પાસ કરનારની જ નિમણુંક કરી શકાય. જેમાં ગત 2023ના વર્ષમાં ગુજરાતમાંથી 73271 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર 2769 (4%) વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. જેમાંથી કચ્છના તો માંડ 100 જેટલા વિદ્યાર્થીઓએ જ ટેટ 1ની પરીક્ષા પાસ કરી હશે એટલે કે ધોરણ 1 થી 5માં જો સ્થાનિક કચ્છી ઉમેદવારની ભરતી કરવામાં આવે તો માત્ર 100 જ જગ્યા ભરાય અને બાકીની 2400 તો ખાલી રહી જાય એટલે કે હાલે કચ્છમાં 10000 માંથી 50% જેટલી જગ્યાઓ ખાલી છે એમાંથી જો બદલી પામેલ શિક્ષકોને છૂટા કરવામાં આવે તો ખાસ કિસ્સામાં મળેલ મંજૂરીના અનુસંધાને 2400 જેટલી જગ્યાઓ તો ખાલી રહી જાય એટલે કે શિક્ષકોની ઘટ પુરાવાને બદલે વધી જાય.
આમ જોતા સમગ્ર કિસ્સાનો અભ્યાસ કરીને પછી નિરાંતે વેકેશન બાદ બધા પાસાઓને ચકાસીને પછી જ બદલી પામેલ શિક્ષકોને છુટા કરવામાં આવે તો કચ્છના શિક્ષણ જગત અને કચ્છી બાળકોને સાચા અર્થમાં ન્યાય અપાવ્યો ગણાશે. બાકી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો કોઈ જ અર્થ સરશે નહીં. કચ્છ બહારના બદલી પામેલા શિક્ષકો (કચ્છીમાં કહીએ તો મહેસાણીયા માસ્ટર)ના ગ્રુપે ચૂપચાપ નવા નિયુક્ત પામેલા કલેક્ટરશ્રીની પણ શુભેચ્છા મુલાકાત લઈ લીધી છે તથા કચ્છના બાળકો પ્રત્યે હંમેશા ચિંતનશીલ રહેતા સરળ સ્વભાવના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ તાજેતરમાં શુભેચ્છા મુલાકાત લેવાના સમાચાર સાંધ્ય દૈનિકમાં પ્રગટ થયા છે. આ મામલે મોટો વહેવાર થયાની ચર્ચા પણ શિક્ષણ જગતમાં જોર પકડી રહી છે.
નિમ્નકક્ષાના પ્રાથમિક શિક્ષકો (ધોરણ 1થી 5) માટેની તાલીમી સંસ્થા (પીટીસી કોલેજ)ના તજજ્ઞો દ્વારા મળતી માહિતી મુજબ હાલે ગુજરાતના 34 જિલ્લાઓમાં માંડ 34 જેટલી જ સરકારી પીટીસી કોલેજો બચવા પામી છે એમાય છેલ્લા 10 વર્ષથી કોઈ પણ નવા સ્ટાફની ભરતી કરવામાં આવી નથી જેના કારણે કચ્છમાં આવેલી બેમાંથી ભુજની પીટીસી કોલેજ (ડાયટ) ચાર વર્ષ પહેલા જ બંધ કરી દેવાની ફરજ પડી હતી. એટલે કે હાલે માત્ર મુન્દ્રાની મહિલા પીટીસી કોલેજમાં અભ્યાસ કરીને ટેટ 1ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીનીઓ જ શિક્ષિકા બની શકશે. એટલે કે કચ્છમાં છોકરાઓ માટેની પીટીસી કોલેજ ન હોવાથી કચ્છી પુરુષ શિક્ષકોની ભરતી થવાની શક્યતા હાલે નહીવત હોવાનો મત જાણકારો દર્શાવી રહ્યા છે. આ સમસ્યાના એકમાત્ર ઉપાય તરીકે કચ્છમાં જન્મેલા અને કચ્છમાં જ અભ્યાસ કરેલા કચ્છી બોલીના જાણકાર અને કોઈપણ વર્ષમાં પીટીસી પાસ થયેલ વિદ્યાર્થીઓની ઉંમરની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર જો ટૂંક સમય(વેકેશન)માં જ કચ્છના કેન્દ્રો ઉપર ટેટ 1ની પરીક્ષા લેવામાં આવે અને ઉઘડતા સત્રથી જ પ્રથમ 2,500 પાસ ઉમેદવારોને નિમણુંકપત્રો આપી દેવામાં આવે તો મહદઅંશે આ સમસ્યાનો ઉકેલ આવી શકે એવું જાણકારો જણાવી રહ્યા છે. કેમકે ભૂતકાળના સમયમાં પણ મેટ્રિક પાસ કચ્છી ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક તરીકેની નિમણુંક આપ્યાના દાખલાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને યેન કેન પ્રકારે કાયદાનો દુરુપયોગ કરીને પોતાના વતન જવા માટે અઘીરા બનેલા અને છાસવારે તાલુકા તથા જિલ્લા કક્ષાએ વગર રજાએ ટોળે વળીને કચ્છમાંથી છુટા કેમ થવું? એ અંગેની ચર્ચાઓ કરતા શિક્ષકોને સહેલાઈથી છુટા કરવામાં આવશે તો એ દિવસો દૂર નથી કે “ભણશે ગુજરાત અને રમશે કચ્છ” એવો તાલ સર્જાશે.
હાલની જિલ્લા શિક્ષણ સમિતિ બખૂબી પોતાનો રોલ ભજવીને કચ્છના કિલ્લા(ગઢ)નું વીરતાપૂર્વક રક્ષણ કરશે એવી વિદ્યાર્થી આલમને આશા જ નહીં પરંતુ વિશ્વાસ છે.