Rajkot: “અભયમ્ : મહિલાને નિર્ભયતાનું વચન: રાજકોટમાં ભૂલી પડેલી મહિલાને તેના બહેનની ઘરે પહોંચાડતી અભયમ્ ટીમ
તા.૧૦/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પતિ સાથેના ઝઘડાનું સમાધાન લાવવા પણ પ્રયાસ કર્યો
Rajkot: ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન જીવી શકે, તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન યોજના અમલમાં મૂકી છે. રાજકોટ જિલ્લામાં અભયમ્ યોજનાથી અનેક કિસ્સામાં મહિલાઓને માનસિક, શારીરિક અને સામાજિક સુરક્ષા મળી છે, જેનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. જેમાં અભયમ ટીમે ભૂલી પડેલી મહિલાને તેના બહેનની ઘરે પહોંચાડી હતી. એટલું જ નહીં, તેના પતિ સાથેના ઝઘડાનું સમાધાન લાવવા પણ પ્રયાસ કર્યો હતો.
એક નાગરિકે રાત્રે ૦૯:૩૦ કલાકે ૧૮૧ હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું કે રોડ પર એક મહિલા મળી આવ્યા છે, જેમને મદદની જરૂર છે. આ સાંભળીને અભયમ્ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી, જ્યાં ટીમે તે નાગરિક સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે મહિલા રસ્તો ભૂલી ગયા છે. તે એક શેરીમાં આંટા મારતા હતાં, સજ્જનના ઘરની બાજુમાં બેસીને રડતા હતાં અને ગભરાયેલા હતાં. ત્રાહિત વ્યક્તિએ મહિલાને પાણી પીવડાવ્યું, ત્યાર બાદ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કર્યો.
અભયમ્ ટીમે સૌથી પહેલાં મહિલાને આશ્વાસન આપ્યું. અને કાઉન્સિલરશ્રી શીતલબેન સરવૈયાએ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા મૂળ નેપાળના વતની છે. તેમના પ્રેમલગ્ન થયા છે. છેલ્લા બે વર્ષથી રાજકોટમાં રહે છે. પરિણીતાને તેના પતિ સાથે ઝઘડો થતાં, તે ઘર છોડીને નીકળી ગયા છે. રસ્તા વિશે જાણ ન હોવાથી ભૂલા પડી ગયાં છે. ઝઘડાનું કારણ, તેના પતિનો લગ્નેત્તર સંબંધ છે. મહિલા પોતે કયા વિસ્તારમાં રહે છે, તેનો પણ ખ્યાલ નહતો.
અંતે અભયમ્ ટીમે મહિલાના પતિ સાથે ટેલીફોનીક વાત દરમિયાન લગ્નજીવન બચાવવા સમજાવ્યું. પરિણીતાના મોટા બહેન રાજકોટમાં રહે છે. મહિલા તેના બહેનના ઘરે રહેવા જવા માંગતા હતા પરંતુ સરનામાાાની ખબર નહોતી. જેથી, અભયમ ટીમે મહિલાના બહેનને કોલ કરીને સરનામું જાણ્યું. પરિણીતાને સલાહ-સૂચનો આપ્યા તથા જરૂર જણાયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ફોન કરવા માર્ગદર્શન આપ્યું. અંતે મહિલાને તેના મોટા બહેનના ઘરે સુરક્ષિત પહોંચાડ્યા. ત્યારે મહિલાએ ૧૮૧ અભયમ્ ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.