Rajkot: કોકલીયરનું ૯ લાખનું ઓપરેશન આર.બી.એસ.કે.માં વિનામૂલ્યે થતાં ‘શ્રી’ની મુક-બધિરતાની ક્ષતિ દૂર થઈ
તા.૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સાફલ્ય ગાથાઃ સંદીપ કાનાણી
લોધિકાના કાંગશીયાળીના પરિવારમાં દીકરીની બોલી સાંભળીને બેવડો આનંદ છવાયો
Rajkot: એનું નામ ‘શ્રી’… કાંગશીયાળીના સામાન્ય પરિવારમાં ‘વ્હાલી દીકરી’ જન્મી ત્યારે આનંદ નહોતો સમાતો. બાળકી થોડી મોટી થતાં મુક-બધિરતાની ક્ષતિ ધ્યાનમાં આવતા પરિવારના પગ નીચેથી ધરતી સરકી ગઈ. ‘શ્રી’ની કાલી-ઘેલી બોલી સાંભળવા પરિવાર તલસતો. આખરે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (R.B.S.K.) હેઠળ રૂપિયા આઠ-નવ લાખનું કોકલીયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન વિનામૂલ્યે થતાં પરિવાર ગદગદ થઈ ગયો. આજે ‘શ્રી’ની સ્પીચ-હિયરિંગ થેરાપી ચાલી રહી છે અને તેની કાલીઘેલી બોલી સાંભળી પરિવારમાં ખુશીઓ છલકાઈ ઊઠે છે.
આ વાત છે લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામના બારડ પરિવારની. માનસિંઘભાઈ બારડ સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે બે વર્ષ પહેલાં ૨૧મી નવેમ્બર ૨૦૨૩ના રોજ સુંદર દીકરીનો જન્મ થયો. પરિવારે હરખભેર ‘શ્રી’ નામ પાડ્યું. આડોશી-પાડોશી તથા સગા-વ્હાલાં સૌ કોઈ શ્રીને રમાડવા ખૂબ જ વ્હાલથી ઊંચકી લેતા.
ધીમે ધીમે શ્રી એક વર્ષની થઈ ત્યારે તેના હાવભાવ, પ્રતિક્રિયા, હલનચલન વગેરેના અવલોકનમાં તેને બોલવા-સાંભળવામાં તકલીફ હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું. દરમિયાન ૨૨મી નવેમ્બર ૨૦૨૪ના રોજ ગામના આશાવર્કર સર્વે માટે આવ્યા. તેમના ધ્યાને આ વાત આવી. એ પછી તેમણે તુરંત જ આર.બી.એસ.કે. ટીમને જાણ કરી.
ત્યારબાદ આર.બી.એસ.કે ટીમે માનસિંઘભાઈના ઘરની મુલાકાત લઈને બાળકીનું સ્ક્રિનિંગ કર્યું. જેમાં બાળકી જન્મથી જ મૂક-બધિરતાની ક્ષતિ ધરાવતી હોવાનું સામે આવ્યું. આ જાણીને શ્રીના પરિવારજનો દુઃખી થઈ ગયા. દરમિયાન આર.બી.એસ.કે. ટીમના ડૉ. મોહિતસિંહ જાડેજા અને ડો.શાહેન અઘામે સહાનુભૂતિપૂર્વક આ પરિવારનું કાઉન્સેલિંગ કર્યું અને અનેક બાળકો આવી તકલીફમાંથી સ્વસ્થ બન્યા હોવાના કિસ્સા સંભળાવ્યા. બાળકીના માતા-પિતાને આશ્વાસન અપાયું કે, યોગ્ય સારવાર થકી બાળકી ખૂબ જ ઝડપથી સાંભળતી અને બોલતી થઈ જશે.
પરંતુ સારવાર-ઓપરેશન માટે સરેરાશ આઠ-નવ લાખ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરવી? નોકરીમાંથી થતી નાની આવકમાંથી ઘરનું પૂરું થતું હોય ત્યાં આટલા મોટા ખર્ચને કેમ પહોંચવું? તેની ચિંતા પરિવારને સતાવવા લાગી.
જો કે આર.બી.એસ.કે.ની ટીમે સમજાવ્યું કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે, જેથી તમે કોઈપણ જાતની ચિંતા કરશો નહીં.
એ પછી બાળકીને ૨૫મી નવેમ્બર ૨૦૨૪ના રોજ રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી. અહીં ઈએનટી વિભાગના નિષ્ણાત તબીબો અને સ્ટાફની મદદથી તેનું નિદાન કરવામાં આવ્યું. એ પછી ૨૮ જાન્યુઆરી,૨૦૨૫ રોજ GMERS (ગુજરાત મેડિકલ એન્ડ રીસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજ સોલા-અમદાવાદ ખાતે બાળકીનું કાનનું કોકલીયર ઈમ્પ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. હાલ બાળકીને સ્પીચ અને હિયરિંગ થેરાપી આપવામાં આવી રહી છે. આ જોઈને તેના પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.
બાળકીની સારવારની ઉત્તમ વ્યવસ્થા જોઈને શ્રીના માતા-પિતા ખૂબ જ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે આરોગ્ય તંત્ર, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને તેની સાથે જોડાયેલા તમામ તબીબો અને આર.બી.એસ.કે ટીમના સદાય ઋણી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે.નો લાભ જરૂરિયાત ધરાવતાં તમામ બાળકોને મળે તે માટે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર.આર. ફુલમાલીના માર્ગદર્શનમાં સમયાંતરે મુલ્યાંકન કરીને સઘન રીતે કામગીરી કરવામાં આવી રહી છે.