આણંદ જિલ્લાના બાંધકામ ક્ષેત્રે જોડાયેલાં શ્રમિકો માટે સંપૂર્ણ તબીબી તપાસ કેમ્પ યોજાશે
આણંદ જિલ્લાના બાંધકામ ક્ષેત્રે જોડાયેલાં શ્રમિકો માટે સંપૂર્ણ તબીબી તપાસ કેમ્પ યોજાશે
તાહિર મેમણ : આણંદ – 05/10/2023 – તા.૧૪ મી ઓક્ટોબરના રોજ જુના જિલ્લા સેવા સદન ખાતે આયોજન ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ બાંધકામ ક્ષેત્રના નોંધાયેલા શ્રમિકો માટે અમલમાં છે. આ યોજનાઓ પૈકીની એક નવી યોજના એવી “સંપૂર્ણ તબીબી તપાસ યોજના” અંતર્ગત શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, આણંદ દ્વારા જિલ્લાના બાંધકામ ક્ષેત્રના નોંધાયેલા શ્રમિકો માટે તબીબી તપાસ કેમ્પનું આયોજન જુના સેવા સદનના ત્રીજા માળે શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે આગામી તા.૧૪/૧૦/૨૦૨૩ ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં બાંધકામ ક્ષેત્રે નોંધાયેલા શ્રમિકના શરીરના ૬૦ પ્રકારના વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં એક્સ-રે, ફેફસાંની તપાસ, ઈ.સી.જી., લોહીની તપાસ, પેશાબની તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે અને શ્રમિક બિમાર જણાશે તો તેને સારવાર આપવામાં આવશે.
આ સંપૂર્ણ તબીબી તપાસ યોજનાનો લાભ માત્ર બાંધકામ ક્ષેત્ર સાથે સંક્ળાયેલા શ્રમિકો જેવાં કે કડિયા, પ્લમ્બર, ઈલેક્ટ્રીશીયન, સુથાર, લુહાર, વાયરમેન, કલરકામ કરનાર, લિફ્ટ ઈન્સ્ટોલ કરનાર, ફેબ્રીકેશન કરનાર, ઈંટો-નળિયા બનાવનાર, વેલ્ડર, સ્ટોન કટિંગ-ક્રશિંગ કરનાર તથા મનરેગા વર્કર અને ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા શ્રમિકોને મળવાપાત્ર થશે. આ કેમ્પનો વધુમાં વધુ શ્રમિકોએ લાભ લેવા શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીના પ્રોજેક્ટ મેનેજર હાર્દિકભાઇ નાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે.