Rajkot: પુરાતત્વીય મૂલ્ય ધરાવતા જામટાવરના સાનિધ્યમાં યોગ દિવસની ઉજવણી
તા.૨૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ તથા રાજકોટ INTACH(ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ)ના સંયુકત ઉપક્રમે રાજકોટના જામ ટાવર ખાતે શહેરીજનોએ યોગ અભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
જિલ્લામાં કલા અને સ્થાનિક વારસાઇ મૂલ્ય ધરાવતી પુરાતત્વીય જગ્યાઓની જાળવણી માટે INTACH રાજકોટ ચેપ્ટર સતત પ્રવૃત્તિશીલ છે. છેલ્લા અઢી વર્ષમાં સાંસ્કૃતિક રીતે વિલુપ્ત થતી કલાઓ અંગે જાગૃતિ કેળવવા તેમજ તેની જાળવણી કરવા યોગ્ય ઇમારતો સાથે પ્રાકૃતિક વારસો અને વિવિધ ઐતિહાસિક સ્થળોનું જતન કરવામાં INTACH સફળ રહ્યું છે. આ ચેપ્ટર દ્વારા લોકસંગીત, બ્લોક પ્રિન્ટિંગ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જે અન્વયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. INTACHનો મુખ્ય ઉદેશ્ય પ્રાચીનત્તમ વારસાનું જતન અને જાળવણી છે, જેના ભાગરૂપે આ ઉજવણીમાં યોગાભ્યાસ અને માર્ગદર્શન માટે પ્રોજેક્ટ લાઇફના યોગાચાર્ય પંડિત શ્રી રાજીવ મિશ્રા અને સહાયક યોગાચાર્ય શ્રી મયુરીએ દૈનિક જીવનમાં ઉપયોગી યોગ સાધના અને પ્રાણાયામ અંગે સર્વેને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગમાં રાજકોટ વર્તુળના સુપ્રિટેન્ડન્ટ આર્કિયોલોજીસ્ટ વિભાગના આર્કિટેક્ટ શ્રી સિદ્ધા શાહ, INTACH રાજકોટ ચેપ્ટરના કન્વીનર રિદ્ધિ શાહ, આઉટરીચ અને કલ્ચરલ ટીમના સભ્યો શ્રી સાગર પાનખણિયા, ડો. વિશાલ વારીયા, શ્રી હેમાંગી પટેલ અને શ્રી નિયતી શાહ સહિત ૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર ઉત્સાહભેર સામેલ થયા હતા.