કલેકટરશ્રી ડી.એસ.ગઢવીએ ૩૮ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો
આણંદ, સોમવાર :: આજથી આરંભાયેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આણંદ જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવીએ આણંદની ગોપાલપુરા પ્રાથમિક શાળા ખાતે કુલ ૩૮ બાળકોને આંગણવાડી અને બાલવાટિકામાં દફતર પાર્ટી પેન, કંપાસ બોક્સ, ચોપડા અને ચોકલેટ આપીને શાળાપ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રીએ બાળકોને શિક્ષણની સાથે જીવનમાં સ્વચ્છતાની અગત્યતા સમજાવતાં જણાવ્યું હતું કે, જીવનમાં સ્વચ્છતા એ સારા આરોગ્ય માટેની પ્રાથમિક જરૂરિયાત છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સ્વચ્છતાનો આગ્રહ રાખવાનુ સૂચન કર્યુ હતું. વધુમાં તેમણે ગોપાલપુરા પ્રાથમિક શાળા દ્વારા મેળવેલ વિવિધ સિદ્ધીઓ માટે શાળાના આચાર્યશ્રી સહિત તમામ શિક્ષકો દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી.
આ તકે સરકારના સ્કૂલ ઓફ એક્સલેન્સ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ગોપાલપુરા પ્રાથમિક શાળાને પ્રોત્સાહન રૂપે મળેલ ૧૬ કોમ્પ્યુટરની લેબનું કલેકટરશ્રીના હસ્તે ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
શાળાએ ગ્રીન બિલ્ડિંગ સ્પર્ધામાં મેળવેલી રૂ. ૪ લાખની પુરસ્કાર રાશીથી બનાવાયેલ ગ્રીન શેડ હેઠળ કલેક્ટરશ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીના હસ્તે બાળકો માટે શાળાની વાહન વ્યવહાર સુવિધા માટે બે વાનની સેવા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામના દાતાઓ કે જે સમયાંતરે ગામને અને શાળાને દાન આપે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર પી.એચ.સી.ની ટીમ દ્વારા બાલવાટિકાના બાળકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઈ પટેલ, સારસાના બીટ નિરીક્ષક શ્રી સંજય જોશી, સરપંચ શ્રી વિદ્યાબેન, સીઆરસી આશિષભાઈ, દાતાઓ, એસ.એમ.સી.ના સભ્યો, આચાર્યશ્રી શૈલિનબેન ડાભી, શાળાના શિક્ષકો, ગ્રામજનો, વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.