વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
આ યોજના અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર સાથે આજીવન બાળકની તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે.- ડૉ. નિર્મલા ગોરી.
આજે મારા બાળકનું પપ્પા… બોલવું મને આનંદની અનુભૂતિ કરાવે છે, અન્ય બાળકોની સરખામણીમાં અબુબાકર તેનો સમોવડો બની રહ્યો છે રૂજીના સરફરાઝ સમા ( માતા)
ભુજ,તા09 મે : બાળકનો ખિલખિલાટ એટલે જ કોઈપણ પરિવારનું સાચું સુખ. દરેક પરિવાર બાળકોના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જયારે બાળક તંદુરસ્ત હોય ત્યારે અનેક ગણી ખુશીઓ પરિવારમાં છવાઈ જાય. પરંતુ જો બાળક કોઇ બિમારી કે કોઈ જન્મજાત ખામીનો ભોગ બને તો પરિવાર પર જાણે અંધારાના વાદળો ઘેરાઇ જતા હોય છે. ત્યારે આવા બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કેમ થાય, તે માટે સતત પ્રયત્નશીલ રહી છે.રાજ્યનું દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘેર-ઘેર જઈને દરેક બાળકની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે, અનેક ઘરોમાં ફરીથી તેમના લાડકવાયા બાળકોનો ખિલખિલાટ પુન:ગુંજતો થયો છે ફરી આનંદનો માહોલ છવાયો છે.કચ્છ જિલ્લાના ભુજમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા શરીફ સમાના ઘરે વર્ષ ૨૦૨૨માં પુત્ર અબુબાકર સરફરાઝ સમાનો જન્મ થયેલો. ઘરમાં બાળ જન્મની ખુશી તો આવી પરંતુ સાથે બાળક કેટલીક જન્મજાત ખામીનો ભોગ બન્યો. અબુબાકર સમાને જન્મતાની સાથે જ હ્રદયમાં કાણું હતું. એની સારવાર લેવાનું પરિવાર વિચારે એ પહેલા જ ત્રણ – ચાર મહિનાનું બાળક થયા પછી પણ કોઈના બોલાવવા કે અવાજની સામે પ્રતિભાવ આપતુ ન હોવાથી માતા-પિતાની ચિંતામાં વધુ વધારો થયો હતો. ચિંતિત પરિવાર બાળકની તપાસ માટે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં જતાં બાળકને હાર્ટ સર્જરીની સાથે કાનમાં ખામી હોવાથી તેની પણ સર્જરી કરાવવી પડશે એવું ડોક્ટરે જણાવતા અબુબાકરના માતા-પિતા પર આભ તુટી પડ્યું ! આટલા નાના કુમળા બાળકને એક સાથે બે સર્જરીઓ કરાવવાની પીડા સાથે સર્જરીના ખર્ચને કંઇ રીતે પહોંચી વળાશે તે વિચારથી પરિવાર ઘેરી ચિંતામાં મુકાઇ ગયો.આર્થિક પરિસ્થિતિની સાથે સાથે પ્રેમવશ બાળકને કશુંક થઈ જશે તે ભયથી સર્જરી કરાવવી કે નહીં તે માટે પણ દપંતિના મનમાં અવઢવ હતી. ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતાં આર.બી.એસ.કે.ની ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” વિષે જણાવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા અબુબાકરના માતા-પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સહમત થયા હતાં.પિતા શરીફ સમા જણાવ્યું હતું કે, આર.બી.એસ.કે ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ કઢાવી વધુ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ- અમદાવાદ ગયા હતા. જ્યાં બાળકને હ્રદયની ખામી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા, રીપોર્ટસ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા હતા. જેના કારણે અમને એક રૂપિયાનો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો. સફળ હ્રદયના ઓપરેશન બાદ અંદાજિત એક વર્ષના સમય બાદ અબુબાકરની જન્મજાત congenital deafness ( સાંભળી ન શકવા) ની બીમારી માટે પણ તપાસ હાથ ધરાઈ હતી.આર.બી.એસ.કે ટીમના ડો. નીરવ નાનડા અને ડૉ. નિર્મલા ગોરી દ્વારા બકાલી ફળિયા ભુજ ખાતે તેમનું સ્ક્રિનિંગ કરાયું હતું. જન્મથી જ કાનનો નળ ડેમેજ હોવાથી તે સાંભળી શકતો ન હતો. જેના કારણે તેનું બોલવાનું પણ શક્ય બનતું ન હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. હાલ દર વર્ષે ફોલોઅપ તરીકે આ બાળકના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે, અને જરૂરી દવાઓ, સારવાર પૂરી પાડવામાં આવે છે. છેલ્લા અમુક મહિનાઓથી બાળક થોડું થોડું બોલી રહ્યું છે અને વધુ સારું રીતે બોલી શકે તે માટે તમને સ્પીચ થેરાપી પણ આપવામાં આવી રહી છે. આમ, આ યોજના અંતર્ગત સરકાર બાળકોની બીજી “મા” તરીકે સંભાળ લઇ રહી છે તેમ કહેવું જરા પણ ખોટું નથી. આ સારવારથી સંતોષ અનુભવીને સમા પરિવાર આનંદ અનુભવી રહ્યો છે.અબુબાકરની માતા રૂજીના હર્ષના અશ્રુ સાથે જણાવ્યું હતું કે, અબુબાકર એકદમ સ્વસ્થ છે. હાલ થેરાપી બાદ અબુબાકર પપ્પા…પપ્પા શબ્દ બોલે છે….જે સાંભળીને મારા દિલને ઠંડક વળે છે. ધીરે ધીરે મારુ બાળક પણ સામાન્ય બાળકોની જેમ બોલતું-સાંભળતું થઇ જશે તે ખ્યાલથી આનંદની અનુભુતિ થાય છે. દંપતિએ બાળકને નવજીવન આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુ ને વધુ બાળકોને લાભ મળે અને બાળકો તંદુરસ્ત રહે, સમયાંતરે મીટીંગો યોજી કાર્યક્રમનુ આયોજન અને મુલ્યાંકન કરવામાં આવે છે. સરકાર દ્વારા આ કાર્યક્રમ થકી આવી કોઇ પણ ગંભીર બીમારીમાં બાળકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.