હાજીપીરના મેળામાં પદયાત્રીઓને અડચણ ઊભી ના થાય તે માટે ભારે વાહનોની અવર-જવર પ્રતિબંધિત કરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-20 એપ્રિલ : તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા આમારા ગામ નજીક કરોલપીરનો મેળો (ઉર્ષ) યોજાનારો છે. આ મેળા દરમિયાન જિલ્લા બહારથી શ્રદ્રાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે આવે છે. આ વિસ્તારમાં અલગ અલગ કંપનીના ભારે માલવાહક વાહનો સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. મેળા દરમિયાન પદયાત્રીઓને માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે.શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ,કચ્છ ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી હાજીપીર ફાટકથી આર્ચિયન કેમીકલ પ્રા.લી.કંપની, સત્યેશ કંપની તથા નિલકંઠ કંપની તેમજ ધોરડોથી નિલકંઠ કંપની સુધી ભારે વાહનો પરિવહન કરી શકશે નહીં. આ જાહેરનામામાંથી પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવે તે વાહનોને મુક્તિ આપવામાં આવશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામામાં હુકમ કરાયો છે.