MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ‘ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ’ અંગે સેમિનાર યોજાયો

MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ‘ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ’ અંગે સેમિનાર યોજાયો
શ્રમ -રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા ના અધ્યક્ષસ્થાને મોરબીમાં ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ અંગે સેફ્ટી સેમિનાર યોજાયો
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામકશ્રી પી.એમ. શાહ, IIT દિલ્હીના આસિ. પ્રો. શ્રી સૂર્યનારાયણ વિક્રાંત કરા, કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિ
“ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦” ની સલામતી સંબંધિત જોગવાઈઓ અંગે માહિતીગાર કરવા તથા કાર્યસ્થળે સલામતી માટેની નવી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવા મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સહયોગથી એક સેમિનાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજયના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને
મોરબી સિરામીક એસોસીએશન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રમ -રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક ક્ષેત્રના વિકાસ માટે ખૂબ હકારાત્મક વલણ ધરાવે છે. મોરબીના ઉદ્યોગકારોએ સૌને ગૌરવ અપાવ્યું છે. ઉદ્યોગ થકી લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્યારે કારખાના આસપાસના રસ્તા ઉપર પર્યાવરણની જાળવણી કરવા વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો તથા સંબંધિત સ્ટાફ માટે કાર્યસ્થળે કારખાનામાં સલામતી રહે તે માટે તકેદારી રાખવી જોઈએ.
આ સેમિનારમાં ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો, ઉદ્યોગકારો તથા સંબંધિત સ્ટાફને કાર્યસ્થળે સલામતી, આરોગ્ય અને કલ્યાણ સાથે સંકળાયેલી જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ મોરબી એ ઉદ્યોગોનો જિલ્લો હોઈ તેમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ખૂબ જરૂરી બની રહે છે તેવું જણાવી ઉદાહરણ આપતા કહ્યું હતું કે, મારું વતન ભોપાલ છે ત્યાંની એક ઇન્ડસ્ટ્રીમાં ૧૯૮૪માં ગંભીર ગેસ ગડતરની દુર્ઘટના બની હતી જેની અસર છેક આજે પણ નવી જન્મ લેનારી પેઢી ઉપર પડી રહી છે. ત્યારે ઔદ્યોગિક એકમોમાં તમામ પ્રકારની સલામતી હોવી ખૂબ જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ સલામતીના મહત્વ અંગે ઉદ્દબોધન કર્યું હતું. નિષ્ણાત વક્તાઓ દ્વારા ઔદ્યોગિક કાર્યસ્થળે સલામતીના ધોરણોનું પાલન, સલામતી અંગે જાગૃતિ તથા નવીન સલામતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક એકમોમાં સલામત કાર્યપરિસ્થિતિને પ્રોત્સાહન આપવાનો તથા ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ની જોગવાઈઓ અંગે ઉદ્યોગજગત અને કામદારોમાં જાગૃતિ વધારવાનો રહ્યો હતો. સલામત કાર્યસ્થળ – સુરક્ષિત શ્રમિક – સમૃદ્ધ ઉદ્યોગ એ સંદેશ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામકશ્રી પી.એમ. શાહ, DISH, સંયુક્ત નિયામકશ્રી એચ.એસ. પટેલ રાજકોટ રીજીયન, IIT દિલ્હી ખાતેના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી સૂર્યનારાયણ વિક્રાંત કરા, શ્રી જે એસ આદેશરા નાયબ નિયામકશ્રી મોરબી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.









