MORBI:શ્રાવણના બીજા સોમવારે મોરબીમાં ગૌરક્ષકોની ટીમ દ્વારા: કતલખાને ધકેલાતા 29 અબોલ જીવોને બચાવાયા, પાંજરાપોળ મોકલાયા

MORBI:શ્રાવણના બીજા સોમવારે મોરબીમાં ગૌરક્ષકોની ટીમ દ્વારા: કતલખાને ધકેલાતા 29 અબોલ જીવોને બચાવાયા, પાંજરાપોળ મોકલાયા
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મોરબીમાં જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષક ટીમો દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. કચ્છ તરફથી કતલખાને લઈ જવાતા 29 જેટલા અબોલ ઘેટા-બકરાઓને ગૌરક્ષકોએ સમયસૂચકતા વાપરીને ક્રૂરતામાંથી ઉગારી લીધા છે અને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળ ખાતે ખસેડ્યા છે.
અણીયારી ચોકડી પાસે ઘેરાબંધી કરીને ગાડી ઝડપી મળતી વિગતો મુજબ, કચ્છના શિકારપુર તરફથી એક CNG કેરી ગાડી (નંબર: GJ-13-AX-9086)માં મોટી સંખ્યામાં અબોલ જીવોને કતલ માટે માળીયા, હળવદ થઈ ધ્રાંગધ્રા તરફ લઈ જવાઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી ગૌરક્ષકોને મળી હતી. બાતમીના આધારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, હિન્દુ યુવા વાહિની અને ચોટીલા ગૌરક્ષક ટીમે માળીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ગાડી પસાર થતાં જ ગૌરક્ષકોએ પીછો કરી અણીયારી ચોકડી નજીક વાહનને આંતરી લીધું હતું.
ઘાસચારા કે પાણી વગર ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતા :તપાસ દરમિયાન ગાડીમાંથી 29 ઘેટા-બકરા હલનચલન ન કરી શકે તે રીતે દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. વાહનમાં પ્રાણીઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ સુવિધા નહોતી, તેમજ પરમિટ અંગે પણ કોઈ સ્પષ્ટતા મળી નહોતી. ચાલકની પૂછપરછમાં આ જીવોને કચ્છના શિકારપુરથી ધ્રાંગધ્રા લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી: આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચ્યો હતો. વાહન અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ 29 જીવોને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ગૌરક્ષક ટીમોએ આ કામગીરીમાં મળેલી તાત્કાલિક મદદ બદલ મોરબી તાલુકા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરીમાં મોરબી વિહપ-બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા, લીમડી અને મોરબી ગૌરક્ષક ટીમોએ સંયુક્ત રીતે યોગદાન આપ્યું હતું.








