
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી: ખેરગામ તાલુકો બન્યાને 11 વર્ષ વીતી ગયા છતાં હજુ પણ જરૂરી સુવિધાઓથી વંચિત છે. ખેરગામના બાવળી ફળીયાની ૫ ધોરણ સુધીની આ પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષિકા ના ભરોસે ચાલતી હોવાની ખબર ગામના સમાજસેવક દીપકભાઈ પટેલને થતાં આ બાબત સોસીયલ મીડિયામાં વાયરલ કરી હતી.જેની જાણ ખેરગામ ખાતે રહેતા ડો.નીરવ પટેલ થતાં શાળાની મુલાકાત લીધી હતી. મીડિયા કર્મીઓ સાથે વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે એક બાજુ સરકાર ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત ની ગુલાબી વાતો કરે છે જયારે આદિવાસી વિસ્તારોમાં કેટલીય આંગણવાડી,શાળાઓના પોતાના મકાનો જ નથી અને જયાં પોતાના મકાનો છે ત્યાં આવી રીતે શિક્ષકો નથી શિક્ષણ દિવસેને દિવસે ખાડે જઈ રહ્યો છે.જેનો ઉતમ દાખલો ખેરગામના બાવળી ફળીયા પ્રાથમિક શાળાનો છે.જેમાં એક જ શિક્ષિકાથી પાંચ ધોરણ સુધી નું ગાડુ ગબડાવામાં આવી રહ્યો છે.અને વધુમાં શિક્ષિકાને સરકાર દ્વારા વારંવાર સોંપવામાં આવતી એસઆઈઆર સહિતની અનેક ઈતર પ્રવૃતિઓ થોપવામાં આવી રહી છે. બાલવાટિકાથી લઈને 5 ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય કેવી રીતે થશે એ મોટો પ્રશ્ન છે.શિક્ષિકાએ ઇમરજન્સી કારણોસર રજા પાડવાની કે સરકારી કચેરીઓમાં જવાનું થયું તો આવડા નાના બાળકોની સુરક્ષાનું શું?એક નિવૃત શિક્ષક થોડા સમયથી બાળકોના શિક્ષણકાર્યમા મદદરૂપ થવા માટે આવતા હોવાની વાતો બાળકોએ ગ્રાઉન્ડ લેવલે પરિસ્થિતિનો તાગ મેળવવા ગયેલા અમારી ટીમના સભ્યો સમક્ષ જણાવી હતી,પરંતુ કોઈપણ જાતની જવાબદારી વગર એ નિવૃત શિક્ષક પણ ક્યાંસુધી પોતાની સેવાઓ આપશે? જિલ્લા શિક્ષણાધિકારી અને સંલગ્ન અધિકારીઓએ આ બાબત ગંભીરતાથી લઇ તાત્કાલિક અન્ય શિક્ષકોની નિમણુંક કરે તેવી વાલીઓ સહિત સમાજસેવકોની માંગ છે.




