આણંદની હોલ્ટિકલ્ચર કોલેજના ઝરોલામાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા.
આણંદની હોલ્ટિકલ્ચર કોલેજના ઝરોલામાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા.
તાહિર મેમણ : આણંદ – 16/04/2024- ઉચ્ચ શિક્ષણ અને વિવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓનું સાચી દિશામાં ઘડતર થાય તે હેતુથી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ઝારોલા હાઇસ્કુલમાં સતત કંઈક ને કંઈક નવું આયોજન થતું રહે છે. તાજેતરમાં પર્યાવરણની જાગૃતિ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત હોર્ટિકલ્ચર કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલા 65 વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કેમ્પનું આયોજન થયું હતું. કોલેજના પ્રોફેસર ડોક્ટર હેમંત પ્રજાપતિ, ડોક્ટર પ્રીતિ કુમારી,અને ડોક્ટર અનિલ બારડના માર્ગદર્શન હેઠળ એનએસએસના વિદ્યાર્થીઓએ શાળાના બાળકોને જોડે રાખીને શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું, લુપ્ત થતી દેવ ચકલીઓને બચાવવા માળા બનાવી તેને શાળાના કેમ્પસમાં વિવિધ જગ્યાએ લગાવ્યા હતા. ગામમાં રેલી કાઢીને લોકોને પણ પર્યાવરણ બચાવવા માટે “વૃક્ષો વાવો”, “પાણી બચાવો” વગેરે જેવા નારાથી જાગૃત કર્યા હતા. આ તબક્કે મેહુલ પટેલે સાપ કરડે ત્યારે શું કરવું જોઈએ તેની વિસ્તૃત માહિતી બાળકોને આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોતાની આગવી કાર્યશૈલીથી રાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત કરનાર પશુપાલક જયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં ચાલતા એગ્રીકલ્ચર ટ્રેડના માર્ગદર્શક શ્રી તુષારભાઈ ભાભોર તેમજ અન્ય શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓની સાથે રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે શાળાના બાળકો તેમજ ગ્રામજનો માટે પર્યાવરણની જાગૃતિ માટેના કાર્યક્રમ કરવા બદલ કૃષિ યુનિવર્સિટી આણંદ અને હોર્ટિકલ્ચર કોલેજના અધ્યાપકો અને એનએસએસના વિદ્યાર્થીઓનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો.