NATIONAL

પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું !!!

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં હિંસાનો માહોલ ગરમાયો છે. ભાજપની જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ કોલકાતાથી લઈને આસનસોલ સુધી આગજની અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસામાં સંદેશખાલી વિસ્તાર રણમેદાનમાં ફેરવાયો હતો, જ્યાં મંગળવારે મોડી રાત્રે થયેલી અંધાધૂંધ ગોળીબારમાં પોલીસ અને કેન્દ્રીય દળોના 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ન્યાજત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સંદેશખાલીમાં ગ્રામીણોને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ મળતા જ્યારે સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મી અને કેન્દ્રીય દળના બે જવાનોને ગોળી વાગતા તેમને સારવાર માટે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંદેશખાલી વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપના ઉમેદવાર સનત સરદારે 17,510 મતોના અંતરથી જીત મેળવી છે, જે બાદ આ હિંસક ઘટના ઘટી છે. અધિકારીઓએ ઘટનાસ્થળે દરોડા પાડીને સોકેટ બોમ્બ જપ્ત કર્યા છે અને અનેક શંકાસ્પદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસામાં આસનસોલ ઉત્તર વિધાનસભા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. અહીં મોડી રાત્રે તૃણમૂલ કોંગ્રેસના વોર્ડ નંબર 53 ના કાઉન્સિલર મૌસમી બોસની ઓફિસમાં અજ્ઞાત તત્વોએ આગ લગાવી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઓફિસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી અને બાજુની દુકાનોને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક ભાજપના ધારાસભ્ય કૃષ્ણેન્દુ મુખર્જીએ આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે, હિંસા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને CCTV ફૂટેજ દ્વારા ગુનેગારોની તપાસ કરવામાં આવશે.

મધ્ય કોલકાતાના વ્યસ્ત એવા ન્યૂ માર્કેટ (હોગ માર્કેટ) વિસ્તારમાં મંગળવારે રાત્રે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોપ છે કે બુલડોઝર સાથે આવેલા એક જૂથે TMC ની યુનિયન ઓફિસને નિશાન બનાવી તેને જમીનદોસ્ત કરી દીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને લોકોએ પોતાની દુકાનોના શટર પાડીને ભાગવું પડ્યું હતું. TMC સાંસદ મહુઆ મોઈત્રાએ આ ઘટનાનો વીડિયો શેર કરતા કટાક્ષમાં લખ્યું હતું કે, “બંગાળીઓ પરિવર્તનનો આનંદ માણી રહ્યા છે.”

TMC ના વરિષ્ઠ નેતા ડેરેક ઓ’બ્રાયને સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો હતો કે આ તોડફોડ પોલીસ અને કેન્દ્રીય દળોની હાજરીમાં કરવામાં આવી રહી છે. તેમણે આને ભાજપની ‘બુલડોઝર રાજનીતિ’ ગણાવી હતી. કલ્યાણ બેનર્જીએ પણ જગતબલ્લભપુરમાં પાર્ટી ઓફિસ સળગાવવાની ઘટનાને ગંભીર ગણાવતા કહ્યું હતું કે બંગાળની જનતા અત્યારે અરાજકતાનો સામનો કરવા મજબૂર છે. બીજી તરફ, ભાજપે આ હિંસામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને આને ટીએમસીના આંતરિક જૂથવાદનું પરિણામ ગણાવ્યું છે.

રાજ્યમાં ચાલી રહેલી આ હિંસાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ રિપોર્ટ અનુસાર, બીરભૂમના નાનૂરમાં TMC કાર્યકર અબીર શેખની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે, જેનો આરોપ ભાજપ પર છે. જ્યારે ન્યૂ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન થયેલી મારામારીમાં ભાજપના કાર્યકર મધુ મંડળનું મોત નીપજ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવા સૂચના આપી છે. મુખ્ય સચિવ અને DGP ને આદેશ અપાયો છે કે હિંસા ભડકાવનાર ગમે તે હોય, તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!