બોરસદ કૉલેજ ખાતે ‘ મંડાલા આર્ટ’ અંગે વર્કશોપ યોજાઈ ગયો.
તાહિર મેમણ : 19/03/2024- શ્રી આર.પી.અનડા કૉલેજ ઑફ ઍજ્યુકેશન , બોરસદમાં ‘ મંડાલા આર્ટ’ અંગેનાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્કશોપમાં મુંબઈની ‘ઝરુખો’ કલા સંસ્થાના મુખ્ય બ્રાંચના સીઓઓ તથા ‘મંડાલા આર્ટ’નાં તજજ્ઞ ઉષ્માબેન ઉદેશી હાજર રહ્યાં હતાં. મહેમાનશ્રીનું કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.જે.કે.તલાટીએ શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો અને શિક્ષણમાં તથા જીવનમાં કલાનું કેવું – કેટલું મહત્ત્વ છે તે અંગે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.
‘ મંડાલા આર્ટ ‘ અંગે પરિચય આપતાં ઉષ્માબેને જણાવ્યું હતું કે મંડાલા આર્ટ એ મેડિટેશન આર્ટ તરીકે સૌ પ્રથમ ભગવાન બુદ્ધે તેમના શિષ્યો તથા બૌદ્ધ સાધુઓની માનસિક રીતે સ્થિરતા અને એકાગ્રતા માટે શોધ કરીને ઉપયોગમાં લેવામાં આવી હતી.વધુમાં આગળ જણાવ્યું હતું કે મંડાલા આર્ટ એ ભૌમિતિક કળાનું એક સ્વરૂપ છે જેની ઉત્પત્તિ પ્રાચીન સંસ્કૃતિઓમાં, ખાસ કરીને હિંદુ અને બૌદ્ધ ધર્મમાં છે. “મંડાલા” શબ્દ સંસ્કૃતની પ્રાચીન ભારતીય ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ “વર્તુળ” થાય છે. મંડાલા સામાન્ય રીતે જટિલ અને સપ્રમાણ ડિઝાઇન હોય છે જે ઘણીવાર ગોળાકાર અથવા ચોરસ ફ્રેમમાં બનાવવામાં આવે છે. મંડાલા કલા બનાવવાથી ઘણા શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફાયદાઓ થાય છે.મંડલા આર્ટની વર્તુળમાં દોરાયેલી સપ્રમાણ આકૃતિઓ અને એમાં ભરાતા રંગ એક થેરપી જેવું કામ કરે છે અને તમારી પર્સનાલિટીમાં સંપૂર્ણતા અને સ્થિરતા લાવવામાં મદદ કરે છે તેમ જણાવીને વ્યક્તિના મનની સ્થિતિને રિવીલ કરતી આ કલાનાં વિવિધ પ્રકારો દર્શાવ્યા હતાં અને મંડાલા આર્ટ કઈ રીતે કરી શકાય તે અંગેની કાર્યશાળામાં તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને તાલીમાર્થીઓ પાસે મંડાલા આર્ટની વિવિધ આકૃતિઓ બનાવડાવી હતી.