તા.૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અત્યંત તીવ્ર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલું બિપરજોય ચક્રવાત ગુજરાતના સમુદ્રકાંઠાની નજીક પહોંચી રહ્યું છે. જે આગામી તા.૧૫ જૂનના રોજ દરિયા કિનારે ટકરાવાની શકયતા છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશના હેડક્વાર્ટર દ્વારા બચાવની કામગીરીઓ માટે તેમજ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા માટે તેમના ફોર્મેશન અને યુનિટોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં આવેલા ભારતીય તટરક્ષકના યુનિટો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સ્થાનિક સમુદાય સાથે સંવાદ કરી રહ્યા છે અને માછીમારોને દરિયા ખેડવાનું સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ બંદરો પર જરૂરી તકેદારીના પગલાં લેવાની અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.