રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેરસભામાં વાલ્મિકી સમાજને લઈને ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. આ ઘટના બાદ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ભારે વિવાદ થયો હતો.
હવે વિવાદિત નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ એક વીડિયો જાહેર કરીને ક્ષત્રિય સમાજની માફી માંગી છે. માફી માંગતા આ વીડિયોમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો સાથે વાતચીત કરી છે. તેમણે નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો. મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર જુલ્મોનું નીરુપણ કરવાનો હતો. રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો કોઈ આશય ન હતો. આમ છતાં મારા નિવેદનથી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું.